ગુરુવાર, 24 મે, 2012

કૈલાસ પંડિત ની સુંદર રચનાઓમાંની એક.....

સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા ?
હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા
એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ
પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા
સતીષ 'નકાબ'
અમસ્તી કોઈ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઈનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના 'કૈલાસ' દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે
જીવવાનું એક કારણ નીકળ્યું
ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું
મેં કફન માનીને લીધું હાથમાં
એ સુખી માણસનું પહેરણ નીકળ્યું
તરબતર આંખોય પ્યાસી નીકળી
રાતરાણીની ઉદાસી નીકળી
તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા
ચાંદને જોવા અગાસી નીકળી
એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી
ચાંદનીની રાહ એ જોતું નથી
આંગણું એકાંતને રોતું નથી
રાત પાસે આગિયા પણ હોય છે
એકલું અંધારું કાંઈ હોતું નથી
કૈલાસ પંડિત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.